અંતિમ સંસ્કાર US આર્મી સાર્જન્ટ એન્જલ રામપ્રસાદ / IANS
ભારતીય મૂળની અમેરિકી સેના (યુ.એસ. આર્મી)ની સાર્જન્ટ એન્જલ રેમ્પરસાદ, જેઓ ઈરાન યુદ્ધ દરમિયાન ફરજ બજાવતા શહીદ થયા હતા, તેમને તેમના અંતિમ સંસ્કાર દરમિયાન વીર સૈનિક તરીકે શ્રદ્ધાંજલિ અપાઈ.
તેમની માતા કેરોલ એસેવેડોએ અંતિમ વિદાય સમારોહ દરમિયાન કહ્યું, "મારી દીકરી સાચી હીરો હતી." અંતિમ સંસ્કારમાં સરકારી અધિકારીઓ, સૈનિકો અને સેંકડો લોકો હાજર રહ્યા હતા અને સૌએ તેમના બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
રેમ્પરસાદ બે વર્ષની ઉંમરે ટ્રિનિડાડથી અમેરિકા આવ્યા હતા. ગયા મહિને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથક પર ઈરાની મિસાઇલ હુમલામાં તેમનું મોત થયું હતું.
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે તેમના શોકમાં સમગ્ર રાજ્યમાં ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, "સ્ટાફ સાર્જન્ટ રેમ્પરસાદે હિંમત અને નિઃસ્વાર્થ સેવાનું જીવન જીવ્યું. તેમના જેવા બહાદુર અમેરિકનોના કારણે ન્યૂયોર્ક અને સમગ્ર દેશ વધુ સુરક્ષિત છે."
તેમના અંતિમ પ્રવાસ દરમિયાન શહેર અને રાજ્યએ તેમને વિશેષ સન્માન આપ્યું હતું. કેટલાક સ્થાનિક ટીવી ચેનલોએ આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કર્યું હતું.
ન્યૂયોર્ક પોલીસના ડઝનો મોટરસાયકલ સવાર અધિકારીઓના કાફલાની આગેવાનીમાં તેમના પાર્થિવ દેહને ચર્ચ સુધી અને ત્યારબાદ લૉંગ આઇલેન્ડ સ્થિત કબ્રસ્તાન સુધી લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને લશ્કરી સન્માન સાથે દફનાવવામાં આવ્યા.
ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાની, જેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન યુદ્ધના વિરોધી છે, તેઓ પણ અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, "સાર્જન્ટ રેમ્પરસાદની બહાદુરી અને બલિદાનને સમગ્ર ન્યૂયોર્ક હંમેશા યાદ રાખશે."
તેમણે વધુમાં કહ્યું કે, "ઘણા ન્યૂયોર્કવાસીઓ માટે વિદેશમાં થતા યુદ્ધો ક્યારેય દૂર નથી હોતા, તેની અસર અહીં તેમના પોતાના જીવન પર પણ અનુભવાય છે."
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુદ્ધ સચિવ પીટ હેગસેથે 22 જુલાઈએ જોર્ડનથી ડોવર એર ફોર્સ બેઝ પર લાવવામાં આવેલા તેમના પાર્થિવ દેહને લશ્કરી સન્માન સાથે આવકાર્યો હતો.
રેમ્પરસાદ જર્મનીમાં અમેરિકી સેનાની એર એન્ડ મિસાઇલ ડિફેન્સ કમાન્ડમાં તૈનાત હતા, પરંતુ યુદ્ધ દરમિયાન તેમને જોર્ડનના મુવાફ્ફાક સલ્ટી એર બેઝ પર મોકલવામાં આવ્યા હતા.
28 ફેબ્રુઆરીએ ઇઝરાયલે ઈરાન પર બોમ્બમારો કર્યા બાદ શરૂ થયેલા યુદ્ધમાં અમેરિકા પણ જોડાયું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 18 અમેરિકી સૈનિકોના મોત થયા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરારના ભંગ બાદ ફરી શરૂ થયેલી અથડામણોમાં મૃત્યુ પામેલા પાંચ સૈનિકોમાં રેમ્પરસાદનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો અને પેન્ટાગને તેમને ઈરાન યુદ્ધના સત્તાવાર મૃત્યુઆંકમાં સામેલ કર્યા હતા.
પરંતુ રવિવારે પેન્ટાગને તેમનું અને અન્ય ચાર સૈનિકોના નામ ઈરાન યુદ્ધના મૃત્યુઆંકની યાદીમાંથી હટાવીને "ઓવરસીઝ ઓપરેશન્સ" નામની નવી યાદીમાં સામેલ કર્યા હતા. આ પગલાને ઈરાન યુદ્ધમાં થયેલા સૈનિકોના મૃત્યુઆંકને ઓછો દર્શાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
17 જુલાઈના હુમલામાં તેમની સાથે કેપ્ટન ટાઇલર જેમ્સ ફીહાન (25) અને પ્રાઇવેટ ફર્સ્ટ ક્લાસ ઇસાબેલા ગોન્ઝાલેસ (19) પણ મૃત્યુ પામ્યા હતા.
ત્યારબાદના દિવસે ઇરાકમાં આવેલા અમેરિકી સૈન્ય મથક પર થયેલા ડ્રોન હુમલામાં સાર્જન્ટ માઈકલ ઇમેન્યુઅલ સ્વિન્ટનનું પણ મોત થયું હતું.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login