ADVERTISEMENT

ADVERTISEMENT

HPV વેક્સિનથી સર્વાઇકલ કેન્સરનો અંત શક્ય: ભારતીય-અમેરિકન ઓન્કોલોજિસ્ટ

ડૉ. દત્તાત્રેયુડુ નોરીએ કહ્યું કે સર્વાઇકલ કેન્સર અટકાવી શકાય, વહેલી તકે શોધી શકાય અને સંપૂર્ણપણે સાજું થઈ શકે તેવું રોગ છે, છતાં તેના કારણે થતા મૃત્યુ ડૉક્ટરો માટે ખૂબ દુઃખદ છે.

 પ્રતીકાત્મક તસ્વીર પ્રતીકાત્મક તસ્વીર / IANS

ભારતીય-અમેરિકન રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉ. દત્તાત્રેયુડુ નોરીએ જણાવ્યું છે કે HPV વેક્સિન ભારતને સર્વાઇકલ કેન્સર સામેની લડતમાં નિર્ણાયક ફાયદો અપાવી શકે છે અને આગામી વર્ષોમાં આ રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં મદદરૂપ બની શકે છે.

IANSને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "હવે HPV વેક્સિન ઉપલબ્ધ હોવાથી આપણો હાથ વધુ મજબૂત થયો છે અને આગામી થોડાં વર્ષોમાં આપણે ભારતમાં સર્વાઇકલ કેન્સરને સંપૂર્ણપણે દૂર કરવામાં સફળ થઈ શકીશું."

2026ના પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ડૉ. નોરીએ જણાવ્યું કે સર્વાઇકલ કેન્સર એવો રોગ છે જેને અટકાવી શકાય છે, સમયસર ઓળખી શકાય છે તેમજ તેની અસરકારક સારવાર કરીને દર્દીને સંપૂર્ણ સ્વસ્થ પણ કરી શકાય છે. તેમ છતાં આ રોગના કારણે મહિલાઓના થતાં મૃત્યુ ઓન્કોલોજી ક્ષેત્રના ડૉક્ટરો માટે ખૂબ જ પીડાદાયક છે.

તેમણે કહ્યું, "સર્વાઇકલ કેન્સર અટકાવી શકાય છે, તેની સમયસર ઓળખ થઈ શકે છે અને તેની સારવાર દ્વારા દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે."

ડૉ. નોરીના જણાવ્યા અનુસાર ભારતમાં દરરોજ અંદાજે 200 મહિલાઓનું સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ થાય છે. તેમણે કિશોરીઓ માટે મફત HPV વેક્સિન શરૂ કરવાના નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું કે તેનાથી રોગની રોકથામમાં નોંધપાત્ર મદદ મળશે.

ડૉ. નોરીએ છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતમાં આરોગ્ય ક્ષેત્રમાં, ખાસ કરીને કેન્સરની રોકથામ અને સારવારમાં થયેલા મહત્વપૂર્ણ સુધારાઓની પણ પ્રશંસા કરી.

તેમણે કહ્યું, "આ સમયગાળા દરમિયાન આરોગ્ય ક્ષેત્રમાં અનેક મહત્વપૂર્ણ અને સકારાત્મક ફેરફારો થયા છે."

તેમણે નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના અને દેશમાં કેન્સરની સારવાર માટેની સુવિધાઓના વિસ્તરણને આ સમયગાળાની મહત્વપૂર્ણ સિદ્ધિઓ ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, "પ્રથમ વખત નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવી. અગાઉ અમારી પાસે આવી સંસ્થા નહોતી."

ડૉ. નોરીએ જણાવ્યું કે દેશમાં વધુ કેન્સર અને આઉટપેશન્ટ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવી છે અને આયાતી કીમોથેરાપી દવાઓ વધુ સસ્તી બનાવવામાં આવી છે.

તેમણે કહ્યું, "કેન્સર સારવારને લઈને તેમણે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી છે. કેન્સર કાળજી ક્ષેત્રે તેમના યોગદાન માટે હું તેમની પ્રશંસા કરું છું."

ડૉ. નોરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત કેન્સરની વહેલી ઓળખ, રોકથામ, સ્ક્રીનિંગ અને સારવારના તમામ ક્ષેત્રોમાં આગામી સમયમાં વધુ નોંધપાત્ર પ્રગતિ કરશે.

તેમણે કહ્યું, "મને વિશ્વાસ છે કે ભારત કેન્સરની ઓળખ, રોકથામ, સ્ક્રીનિંગ અને સારવારમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરશે."

પોતાની જીવનયાત્રા વિશે વાત કરતાં ડૉ. નોરીએ જણાવ્યું કે તેઓ લગભગ 50 વર્ષ પહેલાં અમેરિકા ગયા હતા અને તબીબી તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં નીચલા સ્તરેથી શરૂઆત કરીને એક આઇવી લીગ મેડિકલ સ્કૂલમાં વિભાગના વડા સુધી પહોંચ્યા.

વોશિંગ્ટનમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, "આ શક્ય બન્યું માત્ર અમેરિકામાં જ. માત્ર અમેરિકામાં."

ડૉ. દત્તાત્રેયુડુ નોરીને વર્ષ 2026માં મેડિસિન ક્ષેત્રે ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ભારત સરકારના પદ્મ એવોર્ડ્સ પોર્ટલમાં તેમને અમેરિકા સ્થિત પુરસ્કાર વિજેતા તરીકે નોંધવામાં આવ્યા છે.

ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"

Comments

Leave A Comment

Required fields are marked (*).

Related

Talk to us?