ઓનસુલ મહેશ યાદવ અને પરવીન ચોપરાએ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. દત્તાત્રેયુડુ નોરીનું સન્માન કર્યું. / A Lotus in the Mud
ન્યૂયોર્કના હેમ્પસ્ટેડમાં 14 જૂને યોજાયેલી યોગ દિવસની ઉજવણીમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. વેલનેસ અને આધ્યાત્મિકતા વિષયક પ્રકાશન A Lotus in the Mud દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકો ઉપરાંત સ્થાનિક સમુદાયના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
વેદિક હેરિટેજ હનુમાન મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધ્યાન, યોગ, ભક્તિ સંગીત, નૃત્ય પ્રસ્તુતિઓ અને આધ્યાત્મિક વિકાસમાં ભક્તિની ભૂમિકા વિષે પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પદ્મભૂષણથી સન્માનિત અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કેન્સર નિષ્ણાત ડૉ. દત્તાત્રેયુડુ નોરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેઓ ન્યૂયોર્ક-ન્યૂ જર્સી વિસ્તારમાં ત્રણ શિરડી સાઈ બાબા મંદિરોના સ્થાપક પણ છે. ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલનું પ્રતિનિધિત્વ કોન્સુલ મહેશ યાદવે કર્યું હતું.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ "આધ્યાત્મિક ઉત્ક્રાંતિ માટે ભક્તિ એક સુપરહાઇવે" વિષય પર યોજાયેલી પેનલ ચર્ચા રહી હતી. A Lotus in the Mud ના સ્થાપક અને સંપાદક પરવીન ચોપરાએ આ ચર્ચાનું સંચાલન કર્યું હતું. તેમણે ભારતીય દાર્શનિક પરંપરાના આધારે ભક્તિ યોગને આધ્યાત્મિક વિકાસનો સરળ અને અસરકારક માર્ગ ગણાવ્યો હતો.
પેનલમાં બૌદ્ધ સાધ્વી લામા આરિયા દ્રોલ્મા, લેખક અને બેન્કર યાકુબ મેથ્યુ, નાણાકીય ક્ષેત્રના અધિકારી અને કલાકાર નયન કિસનદવાલા તેમજ યોગ શિક્ષિકા શેરોન એપસ્ટીન સામેલ હતા. પેનલ સભ્યોએ ભક્તિને વ્યક્તિગત અનુશાસન અને આધ્યાત્મિક આશીર્વાદ બંને તરીકે વર્ણવી હતી.
મુખ્ય પ્રવચનમાં ડૉ. નોરીએ યોગ અને ધ્યાન માનસિક સંતુલન તથા આત્મજાગૃતિ વિકસાવવામાં કેવી રીતે મદદરૂપ થાય છે તે અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું, "સાક્ષીભાવ રાખવાથી વ્યક્તિ ઘણી સમસ્યાઓથી દૂર રહી શકે છે," અને લોકોને પોતાના વિચારો અને ભાવનાઓને નિરપેક્ષ રીતે જોવાની સલાહ આપી હતી.
નોરીએ જીવનમાં સમત્વ જાળવવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનમાં દેખાતી ઘણી વિરોધાભાસી પરિસ્થિતિઓ વાસ્તવમાં એકબીજાની પૂરક હોય છે.
મહેશ યાદવે યોગને વિશ્વ માટે ભારતની અમૂલ્ય ભેટ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ભક્તિ યોગના માર્ગને વધુ મજબૂત બનાવે છે અને વ્યક્તિમાં નમ્રતા, કરુણા તથા ઈશ્વર સાથેનો ગાઢ સંબંધ વિકસાવે છે.
કાર્યક્રમની શરૂઆત અશોક વ્યાસના નેતૃત્વમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ સમાજ આગેવાનો, ધાર્મિક નેતાઓ અને સ્થાનિક સમર્થકો હાજર રહ્યા હતા.
હાજર લોકોએ લામા આરિયા દ્રોલ્માના માર્ગદર્શન હેઠળ 'લવિંગ-કાઇન્ડનેસ' ધ્યાન સત્રમાં પણ ભાગ લીધો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બુધ પ્રકાશ જસુજા અને તેમની પુત્રી નાનકી દ્વારા ભક્તિ સંગીતની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત પ્રેયા પટેલ અને વિવર્તા આર્ટ્સના વિદ્યાર્થીઓએ રાધા-કૃષ્ણ આધારિત નૃત્ય પ્રસ્તુતિઓ આપી હતી.
કાર્યક્રમ દરમિયાન એન મોફેટ (આન્યા પ્રાર્થના) દ્વારા ચેર યોગ અને રિબન ડાન્સ જેવી વેલનેસ પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી.
સાંજનો સમાપન નયન કિસનદવાલાના ચિત્રોની ચેરિટી હરાજી સાથે થયો હતો. આ હરાજીથી મળેલી આવક A Lotus in the Mud અને Vedic Heritage Inc. ને સહાયરૂપ બનશે. ત્યારબાદ મહેમાનોએ શાકાહારી સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે A Lotus in the Mud એક બિનનફાકારક ઓનલાઈન પ્રકાશન છે, જે આધ્યાત્મિક જ્ઞાન, આરોગ્યપ્રદ જીવનશૈલી અને આંતરધાર્મિક સંવાદને પ્રોત્સાહન આપે છે.
ગુજરાતીમાં અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો "ન્યુ ઇન્ડિયા અબ્રોડ ગુજરાતી"
ADVERTISEMENT
ADVERTISEMENT
Comments
Start the conversation
Become a member of New India Abroad to start commenting.
Sign Up Now
Already have an account? Login